વારાણસીમાં વડાપ્રધાન શરૂઆતથી જ આગળઃ 543 બેઠકોમાં વારાણસીની બેઠક સૌથી વધુ વીવીઆઇપી
- 04 Jun, 2024
યુપીમાં 80 બેઠકોની મતગણતરી શરૂ થતાં વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં જ ઇવીએમમાં મતો નિકળી રહ્યાં હોવાનું જાણવા મળે છે. તેઓ પાચ લાખ કરતાં વધુ મતોની સરસાઇથી સતત ત્રીજીવાર વિજેતા બનશે. નોંધનીય છે કે 543 કુલ બેઠકોમાં વડાપ્રધાનની બેઠક સૌથી વધુ હાઇપ્રોફાઇલ અને વીવીઆઇપી છે. જો કે તેમનો વિજય નક્કી જ છે પણ તેઓ કેટલા મતોની સરસાઇથી જીતે છે તેના પર સૌની નજર છે.
દરમ્યાનમાં, મોદીને છેલ્લા બે ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી મળેલા મતોની સંખ્યા જોઇએ તો, લોકસભાની સામાન્ય ચૂંટણી-2019માં વારાણસી બેઠક પરથી સતત બીજી વખત ઉભા રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુલ મતદાન 1,060,829માંથી 674,664 મતો એટલે કે 63.62 ટકા મતો મળ્યા હતા જે અગાઉ કરતાં 7.25 ટકા વધારે હતા.
તેમની સામે ઉમેદવારી નોંધાવનાર સપાના ઉમેદવાર શાલિની યાદવને 195,159 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 152,548 મતો મળ્યા હતા. અને મોદી 479,505 મતોની સરસાઇથી જીત્યા હતા.
2014માં મોદીએ વડોદરા ઉપરાંત વારાણસી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. તે વખતે તેમને કુલ મતદાનના 581,022 મતો મળ્યા હતા જે કુલ મતદાનના 56.37 ટકા વધારે હતા. તે વખતે તેમની સામે ઉમેદવારી નોંધાવનાર આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલને 209,238 મતો મળ્યા હતા અને કોંગ્રેસના અજય રાયને માત્ર 75,614 મતો જ મળ્યા હતા. આ વખતે પણ મોદીની સામે કોગ્રેસે અજય રાયને સતત ત્રીજી વખત ઉભા રાખ્યા હતા.
દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે. આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.